ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા
એટલે દેશ વિદેશના કરોડો આસ્થાળુઓની
ભક્તિનું કેન્દ્ર. આ એ જ દ્વારકાનગરી છે કે
જેનો વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત,
મહાભારત, ક્ષેપક ગ્રંથ હરિવંશ, સ્કંદપુરાણ,
જૈનઆગમો તથા અન્ય સંદર્ભ ગ્રંથોમાં
ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે ભગવાન
મનુના પુત્ર યયાતિને સુકન્યા નામની એક
પુત્રી અને ઉત્તાનબર્હિ, આનર્ત અને
ભૂરીષેણ નાના પુત્રો હતાં. આનર્તના પુત્ર
રૈવતે સમુદ્રની વચ્ચે નગર સ્થાયી
આનર્તદેશ (હાલનું ગુજરાત) પર રાજ્ય કર્યું.
આ રૈવતે સ્થાપેલી નગરી તે જ
દ્વારકાપુરી. ત્યાં સઘળા યાદવો સહિત
શ્રકૃષ્ણ અને બલરામ રહેતા. બલરામજીની
પત્ની રૈવતી એટલે તે રૈવતની પુત્રી.
દ્વારકાના બીજા પણ નામ છે જેમ કે
દ્વારવતી, દ્વારાવતી, કુશસ્થલી વગેરે.
દ્વારકાની જમીનમાં ચૂનાનું પ્રમાણ 80
ટકાથી વધુ છે. મોટા ભાગે બધી જગ્યાએ
ખારું અને ભાંભરૂ પાણી જ મળે છે. વિલ ડુરાં
જેવા સંસ્કૃતિવિદ અનેકવાર કહી ચૂક્યાં છે કે
પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં કોઈ
દિવસ માનવસંસ્કૃતિ પાંગરી શકે જે નહીં.
પણ દ્રારકામાં સદીઓની સદીઓથી
ભગવાન શ્રીકૃષ્ણની અમીદ્રષ્ટિ હેઠળ
માનવ જીવન ધબકતું રહ્યું છે, પાગર્યું છે,
વિકસ્યું છે... કેમ કે આ ગામ ભગવાન
શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું! 'ફાનસ બનીને
જેના રખોપા વંટોળિયો કરે, એ જ્યોત
કેવી રીતે બૂઝે? જેને પ્રગટ ખુદ ગિરધારી
કરે!!'
મહાભારતમાં ઉલ્લેખ પ્રમાણે મગધ
પ્રદેશના રાજા જરાસંઘના પારંવારના
આક્રમણોથી પોતાના અંતેવાસીઓને
બચાવવા શ્રીકૃષ્ણએ મથુરામાંથી સમસ્ત
યાદવ કુળ સાથે પોતાના પૂર્વજોની
ભૂમિ કુશસ્થલીમાં સ્થળાંતર કર્યું, આ
સિવાય પણ અન્ય કારણો પણ હોઈ શકે.
ભગવાન શ્રીકૃષ્ણનાં ચાર મુખ્ય ધામ
પૈકીનું એક: દ્વારકા
ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના ચાર મુખ્ય
ધામ છે જે પૈકીનું એક ધામ છે દ્વારકા. આ
સિવાય ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં
જગન્નાથ, દક્ષિણમાં રામેશ્વર ધામ છે.
અયોધ્યા, કાશી, મથુરા, હરિદ્વાર,
કાંચી અને ઉજ્જૈનની સાથે દ્વારકા પણ
સાત મોક્ષદાયિની નગરીઓ પૈકીનું એક છે.
ભારત અને વિશ્વભરના પ્રવાસીઓ
દ્વારકાની મુલાકાતે આવે છે. દ્વારકાની
નજીકમાં ગોમતી નદી છે જેના સમુદ્ર
સાથેના સંગમસ્થળને ગોમતીતીર્થ કહેવાય
છે. અહીં સાગરકાંઠે દ્વારકાધીશ ભગવાન
શ્રીકૃષ્ણનું જગતમંદિર છે. ગોમતીમાં
સ્નાન કરી છપ્પન પગથિયાં ચડી
ભાવિકો જગત મંદિરમાં 'સ્વર્ગદ્વાર'થી
પ્રવેશ કરે છે.
મંદિરમાં દર્શન કરી નગરચોકવાળા
'મોક્ષ-દ્વાર'થી બહાર નીકળવાનો
રિવાજ છે, મહાત્મ્ય છે. પાર્જિટર,
મુસાળકર, ડો. હસમુખ સાંકળિયા,
પુષ્કરભાઈ ગોકાણી અને ડો. થોમસ
પરમાર જેવા પ્રસિદ્ધ ઈતિહાસકારો
જામનગર જિલ્લામાં આવેલી
દ્વારકાનગરીને જ ભગવાન શ્રીકૃષ્ણની
દ્વારકા માને છે. અગાઉ કોડીનાર પાસે
આવેલી મૂળ દ્વારકા, માધવપુર ઘેડ,
ગિરનારની તળેટી વગેરે સ્થળોને શ્રી
કૃષ્ણની દ્વારકા તરીકે ઓળખાવવાના
પ્રયત્નો થઈ ચૂક્યાં છે, પરંતુ
ઈતિહાસકારોના મતે આ સ્થળો ઈ.સ. પૂર્વે
પહેલી કે બીજી સદી પહેલાંના નથી.
આજની દ્વારકાનગરી એ જ શ્રીકૃષ્ણની
પવિત્ર નગરી. અમદાવાદ-ઓખા
બ્રોડગેજ રેલવેલાઈન તથા અમદાવાદ-
રાજકોટ ધોરીમાર્ગ 8-અ અને રાજકોટ-
જામનગર-દ્વારકા રાજ્ય ધોરીમાર્ગ 26
ઉપર આવેલી દ્વારકાનગરી અમદાવાદથી
378 કિ.મી. રાજકોટથી 217 કિ.મી. અને
જામનગરથી 137 કિ.મી.ના અંતરે છે.
જામનગર, પોરબંદર અને રાજકોટ નજીકના
એરપોર્ટ છે.
દ્વારકા: ભારતના પશ્ચિમી તટનું
પૌરાણિક નગર
સંખ્યાબંધ પૌરાણિક અને ઐતિહાસિક
સંદર્ભો એ વાત પુરવાર કરે છે કે દ્વારકા
પૌરાણિક સમયમાં ભારતના પશ્ચિમી
સમુદ્ર તટનું મહત્વનું વ્યાપારિક મથક હતું.
દ્વારકા સમુદ્રી બંદર અને જમીન માર્ગનું
મથક પણ હતું. દ્વારકાનો વેપાર છેક ઈરાન,
સુમેર, મિસર (આજનું ઈજિપ્ત) જેવા દેશો
સુધી ફેલાયેલો હતો. આજથી 1949 વર્ષ
પૂર્વે લખાયેલા 'પેરિપ્લસ ઓફ ઈરીથ્રિયન
સી' ગ્રંથમાં ભારતના પશ્ચિમી કાંઠે
'બરીગાઝા' (ભૃગુકચ્છ - આજનું ભરૂચ) અને
'બરાકા' (દ્વારકા)નો ઉલ્લેખ થયેલો છે.
કુદરતી બારૂ ધરાવતો દ્વારકાનાં સમુદ્ર
તટે વિદેશી જહાજો લાંગરતાં.
દ્વારકાની આસપાસ થયેલા
પુરાતત્ત્વીય ઉત્ખનનોમાં જુદી જુદી
જાતનાં લંગરો મળી આવ્યાં છે. શ્રી
કૃષ્ણએ આ પ્રદેશમાં આગમન બાદ
દ્વારકાની ફરતેના જમીનનું નવસંસ્કરણ
(રેક્લેમેશન) કર્યું. દ્વારકાનગરીના સર્જન
અને વસવાટ બાદ આ પ્રદેશનું મહત્વ વધ્યું.
યાદવો સમુદ્ધ બન્યાં.
યાદવો ગૌપાલનમાંથી વ્યવસાય તરફ
વળ્યાં હોય તેવું બની શકે છે. ટૂંકમાં દ્વારકા
સ્થળાંતર પામેલી પ્રજા દ્વારા
વસાવાયેલું નગર છે. નવી ભૂમિમાં
સ્થળાંતર બાદ સમૃદ્ધિના ઉદાહરણો
ભરપૂર છે. ભારતનું મુંબઈ શહેર, દુબઈ
સિંગાપોર, ઈરાનથી ભારત આવેલાં
પારસીઓ, ઈઝરાયેલ, યુરોપના લોકોએ
વસાવેલું અમેરિકા આવી સફળતનાં
ઉદાહરણો છે.
Wednesday, 5 August 2015
ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા
Subscribe to:
Post Comments (Atom)
Like
ReplyDelete